કુવૈતની ઈમારતમાં ભયાનક આગ: 41 લોકોનાં મોત; 50થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ; ભારતીય એમ્બેસીએ હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12062024_112727_Screenshot-2024-06-12-165553.webp)
- 12 Jun, 2024
કુવૈતના મંગાફ શહેરની એક ઈમારતમાં આગ લાગવાના પગલે 41 લોકોના મોત નીપજ્યાં છે. આગ સ્થાનિક સમય પ્રમાણે સવારે 6 વાગે લાગી હતી. મૃતકોમાં 10 જેટલા ભારતીયો છે. તેઓ કેરળના રહેવાસી છે. આગમાં દાઝી જવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા 50થી વધુ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેજર જનરલ ઈદ રશીદ હમાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે.
કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોનાં મોત થયા છે. અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા, તેમના પ્રત્યે મારી સંવેદના છે.
આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું- આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના સંદર્ભમાં એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે: +965-65505246. સંબંધિત અપડેટ્સ માટે આ હેલ્પલાઈન નંબર સાથે જોડાવ. એમ્બેસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય-સમય પર ચેતાવણી પણ આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ન રહે.
કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આવી ઘટનાઓ રિયલ એસ્ટેટ માલિકોના લોભને કારણે બને છે. કુવૈત ટાઇમ્સના અહેવાલ મુજબ વધુ ભાડું આપવું પડે તેના લોભમાં બિલ્ડિંગ માલિકો એક જ રૂમમાં ઘણા લોકોને રાખે છે. એક અહેવાલ મુજબ જે ઈમારતમાં આગ લાગી હતી ત્યાં 160થી વધુ લોકો રહેતા હતા. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેના કારણે તેઓ કયા દેશના નાગરિક છે તે જાણી શકાયું નથી.
કુવૈતના ભારતીય દૂતાવાસ અનુસાર કુવૈતની વસતિના 21% (10 લાખ) લોકો ભારતીય છે. જ્યારે 30% કર્મચારીઓ (આશરે 9 લાખ) ભારતીયો છે. કુવૈત, આશરે 42 લાખની વસતિ ધરાવતો દેશ છે. જે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તેલ ભંડાર ધરાવે છે. દેશમાં અગાઉ આ પ્રકારની ઘટનાઓ બનેલી છે, જેમાં 2022માં ઓઇલ રિફાઇનરીમાં લાગેલી આગનો સમાવેશ થાય છે, જેમાં ઘણી જાનહાનિ થઈ હતી.